あらすじ
ધન્ય ગૃહસ્થાશ્રમ એટલે ગૃહસ્થાશ્રમીઓ ધન્ય છે. ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીસ્વામી સંતોને કહેતા, ‘સંતો, ગૃહસ્થાશ્રમીઓ આપણને ભાવથી વંદન કરે, પગે લાગે તો આપણે આપણા ત્યાગાશ્રમ પ્રમાણે ગૃહસ્થોને ભલે સામા પગે ન લાગી શકીએ પણ એ સમયે, આપણે એવા સંકલ્પો કરવા કે, આપણું શીશ તેમના પગમાં છે. એ બિચારા ગૃહસ્થો સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિ વચ્ચે જીવે છે... એક સાંધે ત્યાં તેર તૂટતાં હોય. પોતાના ભાઈઓમાં, કુટુંબીઓમાં, પડોશીઓમાં અનેક પ્રકારના પ્રશ્નો હોય, સામાજિક, કૌટુંબિક ! છતાંય તે કલાક, અડધો કલાક મંદિરે જાય છે. ભજન કરે, સમાજમાં સારાં કામ કરે, પોતાનો સમય ફાળવે માટે ગૃહસ્થોને ધન્ય છે જ્યારે આપણે સંતો તો સાવ નિષ્ફિકર છીએ, કોઈ ચિંતા નથી.’ તમે ભગવાન ભજો છો, સમાજમાં સુખદુઃખમાં ભાગ પડાવો છો, કોઈને મદદરૂપ થઈ તેના દુઃખને હળવું કરો છો માટે તમને ધન્ય છે. તમે બધા ભગવાનને ભજો છો ખુલ્લા મેદાનમાં રહીને, બહાર રહીને પણ અમે ભગવાન ભજીએ છીએ કિલ્લામાં રહીને... લડવૈયા તો બંને પણ ખુલ્લા મેદાનમાં લડનારાએ ખૂબ ધ્યાન રાખવું પડે. આમથી તીર આવે... આમથી ગોળી આવે... પાછળથી ભાલો આવે...! ક્યારે શું આવીને વાગે ? તે નક્કી ન કહેવાય.