あらすじ
ગર્દભનો સંદર્ભ. આ સંગ્રહના એક લેખ પરથી સંગ્રહનું શીર્ષક છે. શાહબુદ્દીનનો લેખ હોય એ હાસ્ય ન પ્રેરે તો જ નવાઈ. આપણે વાતવાતમાં કોઈ પણ માણસને ઉતારી પાડવા માટે એને ગધેડા સાથે સરખાવીએ છીએ. પણ ગધેડામાં શાણપણ નથી એવું આપણે માણસો માનીએ છીએ. એવું પણ મેં સાંભળ્યું છે કે ગધેડાઓ જ્યારે અંદર અંદર ઝઘડે છે ત્યારે એને માણસ કહીને ગાળ આપે છે. અને માણસ જે રીતે વર્તન કરતો આવ્યો છે એ રીતે એનામાં પશુનું તત્ત્વ વિશેષ છે અને માણસાઈનું તત્ત્વ લગભગ નહિવત્ છે. માની લો કે ગધેડો થોડો મૂરખ અને નાદાન હોય તો આપણી થોડીક મૂર્ખાઈ અને નાદાનિયત ખોવાઈ ગઈ હોય તો એ પણ રંજનો વિષય છે. કોઈ પણ માણસ સંપૂર્ણપણે શાણો નથી હોતો. જીવનમાં થોડી નાદાનીની પણ જરૂર છે. આપણે જ્યારે થોડીક નાદાની ગુમાવી બેસીએ છીએ ત્યારે લગભગ નિર્દોષતા ગુમાવી બેસીએ છીએ. જો આવી નિર્દોષતા ગુમાવી બેસીએ તો આપણામાંથી એ ગધેડો ગુમાઈ ગયો એનો અહેસાસ આપણને હોવો જોઈએ. કદાચ ગધેડો શાણો પણ હોય અને આપણે આપણામાંથી એ શાણપણનું તત્ત્વ પણ ગુમાવી બેસીએ તો એ ગર્દભવૃત્તિનો પણ લોપ થઈ જાય. સ્પેનિશ કવિ યિમિનેઝે ગધેડા વિશે કાવ્યનું એક આખું પુસ્તક આપ્યું છેઃ પ્લેટેરો ઍન્ડ આઈ. તેના બધાં જ કાવ્યો ગધેડા પ્લેટેરોને ઉદ્દેશીને લખાયાં છે. એનું વર્ણન, એની સમજણ, એના પ્રત્યેનો અઢળક પ્રેમ કવિતામાં પ્રતિબિંબિત થાય છે. આપણામાં રહેલા પશુતત્ત્વ સાથે પણ કોઈ આત્મીયતા સિદ્ધ કરીએ તો એ પારસમણિના સ્પર્શે જેમ લોઢું સોનું થાય એમ એ પશુતત્ત્વ પણ માણસાઈનું ગૌરવ પામી શકે. શ્વાનપ્રીતિના કેટલાંય કાવ્યો અને કેટલીય વાર્તાઓ અને કેટલીય સત્યઘટનાઓ મળી રહે છે. ઉમાશંકરે તો ત્યાં સુધી લખ્યુંઃ વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ. –સુરેશ દલાલ